English |
રક્ષક સંતો ઈસુનું પાવન હૃદય અને સંત ફ્રાન્સિસ ઝેવિયર
ધર્માધ્યક્ષ આદરણીય પરમ પૂજય બિશપ થોમાસ મેકવાન
બિશપ | : | એ. રત્નસ્વામી |
જન્મ | : | 10-02-1961 |
પુરોહિત દીક્ષા સંસ્કાર | : | 31-03-1989 |
બિશપ તરીકેની દીક્ષા | : | 14-04-2018 |
સરનામું | : | બિશપ હાઉસ, મીરઝાપુર, અમદાવાદ-380 001 |
ટેલિફોન | : | (079) 25624717 |
મોબાઇલ | : | 08511092370, 9427547016 |
ઈ-મેઈલ | : |
यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए.
यह ईमेल पता spambots से संरक्षित किया जा रहा है. आप जावास्क्रिप्ट यह देखने के सक्षम होना चाहिए. |
વિસ્તાર | : | 14,791 સ્ક્વેર કિ.મી. |
કુલ વસ્તી | : | 99,56,498 |
ખ્રિસ્તીઓ | : | 70,934 |
બોલાતી ભાષાઓ | : | ગુજરાતી, અંગ્રેજી, કોંકણી, મલયાલમ અને તામીલ |
વર્તમાન અમદાવાદ ધર્મપ્રાંતમાં અમદાવાદ, આણંદ અને નડિયાદ એમ ત્રણ જિલ્લાઓના સમગ્ર વિસ્તારનો સમાવેશ થાય છે. વિસ્તારની દષ્ટિએ ગુજરાતના કુલ ચાર ધર્મપ્રાંતોમાં અમદાવાદ સૌથી નાનો ધર્મપ્રાંત છે, પરંતુ 64,815 કેથલિક ખ્રિસ્તીઓની બહોળી સંખ્યાની દષ્ટિએ તો સૌથી મોટો ધર્મપ્રાંત છે. રાજ્યમાં અમદાવાદ સૌથી જૂનો ધર્મપ્રાંત પણ છે.
ઐતિહાસિક રીતે પણ અમદાવાદ ધર્મપ્રાંત ખૂબ મહત્વ ધરાવે છે. અમદાવાદના સાબરમતી આશ્રમમાંથી ગાંધીજીએ સ્વાતંત્ર્ય સંગ્રામની દરોવણી આપી હતી. ગાંધીઆશ્રમમાં જ ગાંધીજી સ્વાતંત્ર્યસંગ્રામના નેતાઓ અને બ્રિટિશ સત્તાના અધિકારીઓને મળતા હતા. 12 મી માર્ચ 1930 ના રોજ ગાંધીજીએ દાંડીયાત્રા શરૂ કરી ત્યાં સુધી ગાંધીઆશ્રમ જ સ્વાતંત્ર્યસંગ્રામના વડા મથક જેવો હતો. અમદાવાદ ધર્મપ્રાંતની હદમાં આવેલા નડિયાદ ખાતે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ અને ઉછેર કરમસદ ગામમાં થયો હતો.
અમદાવાદ ધર્મપ્રાંત એક સુદીર્ઘ ઈતિહાસ ધરાવે છે. 1510 માં પોર્ટુગીઝો ગોવામાં આવ્યા ને 16મી સદીના પ્રારંભથી ખંભાત અને અમદાવાદ ખાતે ખ્રસ્તી લોકો હોવાના પુરાવા મળે છે. 19મી સદીના પ્રારંભથી બહારના પ્રાંતોમાંથી આવી-આવીને કેથલિકો ગુજરાતનાં વિવિધ નગરોમાં વસ્યા છે. અમદાવાદ શહેરમાં સાબરમતી ખાતે 1842 માં એક દેવળ બંધાયું હતું.
પરંતુ સ્થાનિક કેથિલક ખ્રિસ્તીઓના ઈતિહાસની શરૂઆત મોગરી ખાતે 11મી ડિસેમ્બર 1893થી થાય છે. એ દિવસે મુંબઈના મહાધર્મપ્રાંતના ધર્મપ્રાંતીય ધર્મગુરુ ફાધ મેન્યુએલ ઝેવિયર ગોમ્સના હસ્તે મોગરી ખાતે 18 સ્થાનિક ધર્મજનોએ સ્નાનસંસ્કાર (બાપ્તિસ્મા) લીધા હતા. ત્યાર બાદ જર્મન અને સ્વિટઝર્લેન્ડના ઈસુસંધીના ધર્મગુરુઓ ફાધર ગોમ્સના પગલે ગુજરાતમાં આવ્યા. બાદમાં બોમ્બે ધર્મપ્રાંતના વધારે ધર્મગુરુઓ પણ આવ્યા. પછી 1922 માં પ્રથમ વાર સ્પેઈનમાંથી ઈસુસંઘના ધર્મગુરુઓનું ગુજરાતમાં આગમન થયું.
ઈ.સ. 1934માં કાઠિયાવાડ અને કચ્છ સહિતના મહી નદીના ઉત્તર ગુજરાતનો સમગ્ર વિસ્તાર મુંબઈ મહાધર્મપ્રાંતમાંથી સ્વતંત્ર અમદાવાદ મિશન તરીકે છૂટો પડયો, જેના ધાર્મિક વડા તરીકે ઈસુસંઘના ધર્મગુરુ ફાધર જો આક્વીન વિલ્લાલ્લોન્ગાની નિમણૂક થઈ. તે વખતે ગુજરાતમાં ફક્ત પાંચ મિશન-મથકો હતાં. 1985માં સ્થપાયેલું આણંદ મિશન અને 1897માં વડતાલ, 1907માં કરમસદ, 1911માં નડિયાદ અને 1914માં આમોદ મિશનની સ્થાપના થઈ હતી.
સંન્યાસિની ગુજરાતમાં ખ્રિસ્તી સાધ્વીબહેનો તરીકે સેવાકાર્ય શરૂ કરનાર સૌપ્રથમ સાધ્વી સંઘ 1898માં ધી ડોટર્સ ઓફ ધી ક્રોસ (ક્રૂસની દીકરીઓ) હતો. ત્યારબાદ જાન્યુઆરી 1923માં સિસ્ટર ઓફ ધી એપોસ્ટોલિક કાર્મેલ (પ્રેષિત કાર્મેલ સંઘ) નામનો સંઘ ગુજરાતમાં કાર્ય કરવા આવ્યો. તેમણે અમદાવાદમાં 1929માં પોતાની પ્રથમ શાળા શરૂ કરી. જ્યારે 1936માં સિસ્ટર ઝેવિયરના સહકારથી ઈસુસંઘના ધર્મગુરુ, ફાધર કાર્લોસ સૂર્યાએ લિટલ ડોટર્સ ઓફ સેઈન્ટ ફ્રાન્સિસ ઝેવિયર (સંત ફ્રાન્સિસ ઝેવિયરની નાની દીકરીઓ) નામનો સ્થાનિક સાધ્વીસંઘ શરૂ કર્યો.
અમદાવાદ મિશનનો ક્રમશઃ વિકાસ થતો ગયો, તે ત્યાં સુધી કે 1 મે 1960માં વર્તમાન ગુજરાત મુંબઈ રાજ્યથી છુટું પડીને અલગ રાજ્ય બન્યું તેની પણ પહેલાં 5 મે 1949માં મહી નદીના ઉતરી ગુજરાતના સમગ્ર વિસ્તારને આવરી લેતા અમદાવાદ ધર્મપ્રાંતની સ્થાપના થઈ.
અમદાવાદના પ્રથમ ધર્માધ્યક્ષ બિશપ એડવિન પિન્ટો એસ.જે. (1949-1973) નો સેવાકાળ ખ્રિસ્તી સમાજના એકીકરણ અને ઉત્તર તથા દક્ષિણ ગુરાતમાં ખ્રિસ્તી ધર્મના વિસ્તરણના પ્રારંભનો રહ્યો.
દરમિયાન, વડોદરા ધર્મપ્રાંત તરીકે ગુજરાતમાં એક બીજો ધર્મપ્રાંત 29મી સપ્ટેમ્બર 1966ના રોજ અસ્તિત્વમાં આવ્યો. નવા ધર્મપ્રાંતમાં મહી નદીની દક્ષિણે આવેલા ગુજરાતના છ જિલ્લાઓનો સમાવેશ થાય છે. તેના પ્રથમ બિશપ તરીકે બિશપ ઈગ્નેશિયસ ડિસોઝા રહ્યા.
અમદાવાદ ધર્મપ્રાંતમાં બિશપ પિન્ટોના અનુગામી તરીકે ધર્મધ્યક્ષ ચાર્લ્સ ગોમ્સ, એસ.જે. 1974માં આવ્યા. તેમણે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ધર્મસભાનાં સેવાકાર્યો વિસ્તારવાનો સધન પ્રયાસ આદર્યો. તેમણે ધર્મગુરુ બનવા ઈચ્છતા ઉમેદવારો માટે સંત જોસેફ માઈનર સેમિનારી શરૂ કરીને ગુજરાતમાં ધર્મગુરુઓ માટેની પ્રાથમિક તાલીમ આપવાની પ્રથમ વાર શરૂઆત કરી. કેટલાક સાધ્વીમંડનાં સાધ્વીબહેનોને પણ ગુજરાતમાં સેવા કરવા માટે તેમણે આમંત્રણ આપ્યું.
આ અરસા દરમિયાન, 1977માં ગુજરાતના ઈતિહાસમાં વિકાસનો એક નવો અધ્યાય રચાયો. 1973થી ગુજરાતમાં સેવા કરવા આવેલા નિષ્કલંક મારિયામના કાર્મેલ સાધુસંઘ (કાર્મેલાઈટ્સ ફ મેરી ઈમાક્યુલેટ) ના એક સભ્ય ધર્માધ્યક્ષ જોનાસ થલીઅથની આગેવાની હેથળ અમદાવાદથી અલગ પાડીને રાજકોટ ધર્મપ્રાંત રચવામાં આવ્યો. ગુજરતાનો આ ત્રીજો ધર્મપ્રાંત કચ્છ-ભૂજ અને સમગ્ર સોરાષ્ટ્રમાં ફેલાયેલો છે.
દરિમયાન, 1990માં અમદાવાદ ધર્મપ્રાંતના ધર્માધ્યક્ષ ગોમ્સ પાસેથી ધર્માધ્યક્ષ સ્ટેનિલવાઉસ ફર્માન્ડિઝ એસ.જે.એ અમદાવાદ ધર્મપ્રાંતની સેવાઓની આગેવાની સંભાળી લીધી. અને તેમણે ઉત્તર તથા મધ્ય ગુજરાતમાં ખ્રિસ્તી લોકોને શ્રદ્ધામાં વિશેષ દઢ કરવામાં ખાસ લગન દાખવી. ત્યાર બાદ ચર્ચના ક્રમશઃ વિકાસમાં મહાધર્માધ્યક્ષ (આર્ચબિશપ) તરીકે સ્ટેનિસલાઉસ ફર્નાન્ડિઝ એસ.જે.ને નીમીને નવા ગાંધીનગર મહાધર્મપ્રાંતની સ્થાપના થઈ. નવેમ્બર 2002માં આ નવો મહાધર્મપ્રાંત અમદાવાદ ધર્મપ્રાંતમાંથી અલગ કરવામાં આવ્યો.
ગુજરાતની ધર્મસભા પરિપક્વ બની છે તેના સંકેતરૂપે ગુજરાતના પનોતા પુત્ર બિશપ થોમાસ ઈસ્નાન મેકવાન તા.11 જાન્યુઆરી 2003માં અમદાવાદ ધર્મપ્રાંતના બિશપ બન્યા.
કાર્ય અને દષ્ટિ
અમે, અમદાવાદ ધર્મપ્રાંતના ખ્રિસ્તીઓ, સમગ્ર વિશ્વમાં ફેલાયેલા ધર્મપ્રાંતોના ખ્રિસ્તીઓની જેમ અમારા ગુરુ ઈસુ ખ્રિસ્તનાં પાવન પગલાંમાં ચાલવા મથીએ છીએ. વૈશ્વિક બંધુત્વના સંદર્ભમાં શુભકામના ધરાવતા બધા લોકોને ઈસુ ખ્રિસ્તના પ્રેમ અને ક્ષમાના શુભસંદેશની ઘોષણા કરીએ છીએ. ઈસુ ખ્રિસ્ત દલિતો, રક્તપીત્તિયાઓ, જકાતદારો, જાહેર ગુનેગારો, ગરીબો, દલિતો અને ઉપેક્ષિતો તથા તરછોડાયેલાઓનું સતત ભલું કરતા ફર્યા હતા.
આપણા બંધારણ દ્વારા આપયેલા અધિકારની કદર કરતાં અમે ખ્રિસ્તી ધર્મ મુજબ જીવીએ છીએ, ભગવાન ઈસુની ઘોષણા કરીએ છીએ અને તેમના સંદેશનો પ્રચાર કરીએ છીએ. સર્વ લોકોને પોતોની પસંદગીનો ધર્મ પાળવાની અને તેનો ફેલાવો કરવાની બંધારણી સ્વતંત્રતા આપણને મળી છે. અને અધિકારીઓનો એમે મજબૂત રીતે બચાવ કરીએ છીએ. બળજબરીથી કરાતાં ધર્માંતર અને ધરવાપસી ના નામે એક ધર્મમાંથી બીજા ધર્મમાં લોકોને લઈ જવા માટે આચરાતી નિયમ વિરુદ્ધની પદ્ધતિને અમે વિશ્વભરની ખ્રિસ્તી ધર્મસભાની જેમ જ વખોડી કાઢીએ છીએ. ખ્રિસ્ત દ્વારા સ્થપાયેલા પ્રેમધર્મમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ.
સામાજિક પરિવર્તન માટે શિક્ષણ
અમદાવાદ ધર્મપ્રાંત સંસ્થાકીય અને અન્ય પ્રકારના શૈક્ષણિક પ્રયત્નો દ્વારા પરલક્ષી સેવા પ્રત્યે પ્રતિબદ્ધ સ્ત્રી-પુરુષોને તૈયાર કરવા મથે છે. અમારા શિક્ષણ દ્વારા અમે બાળકોની સર્વાંગી પ્રતગિ માટે મથીએ છીએ. ત્યારે આપણાં બાળકો તેમના પોતાના માટે તેમ જ આપણા આ મહાન દેશના સૌ લોકો માટે ઉપયોગી નાગરિકો બની રહે તે રીતે તેમનું ઘડતર કરવાના હેતુથી અમે શૈક્ષણિક સેવાઓમાં રોકાયેલા છીએ.
અમારા બિન-સંસ્થાકીય કેળવણી કાર્યક્રમોમાં બાલવાડીઓ, નબળા વિદ્યાર્થીઓ માટે વધારાના વર્ગો, સાક્ષરતાના કાર્યક્રમો, પ્રૌઢશિક્ષણ અને ગ્રામ પુસ્તકાલયોનો સમાવેશ થાય છે.
અમે ઔદ્યોગિક તાલીમ કેન્દ્રો, ટાઈપરાઈટીંગ અને કોમ્પ્યુટર કાર્યકમો, સીવણકામ તથા ભરતકામ વગેરે વ્યાવસાયિક તાલીમકેન્દ્રો પણ ચલાવીએ છીએ. આ ધર્મપ્રાંતમાં સંત આન્નાના સ્નેહધર્મનાસાધ્વીસંઘના સિસ્ટરો મંદબુદ્ધિના બાળકો અને વિકલાંગ લોકો માટે પણ યોગ્ય સર્વાંગી શૈક્ષણિક કાર્યક્રમો ચલાવે છે.
ધર્મસેવાકેન્દ્રોની ધાર્મિક સેવાઓ
ધર્મપ્રાંત પોતાના ધર્મપ્રાંતના ધર્મગુરુઓ દ્વારા અને વિવિધ સંન્યાસ સંઘોનાં ધર્મગુરુઓ અને સાધ્વીબહેનો દ્વારા ધાર્મિક સેવાકાર્યો ચલાવે છે. ધર્મપ્રાંતના ઉપાસનાવિધિ તથા સંસ્કારો જેવાં ધાર્મિક સેવાકાર્યોને બધા ધર્મજનો માટે સુલભ બનાવવા ધર્મપ્રાંતમાં વિવિધ ધર્મસેવાકેન્દ્રો સ્થાપવામાં આવ્યાં છે.
કેથલિક ધર્મસભામાં વિવિધ ધાર્મિક સાધુસંધો અને સાધ્વીસંધો અને તેના સ્થાપકોના ખાસ કરિશ્મા સાથે કામ કરતી સંસ્થાઓ છે. દરેક સાધુસંઘ અને સાધ્વીસંઘના બંધારણમાં અપરિગ્રહ, બ્રહ્મચર્ય અને આજ્ઞાંકિતતાનાં ત્રણ જાહેર વ્રતોનો સમાવેશ થાય છે.
ધર્મપ્રાંતમાં 76 ધર્મપ્રાંતીય ધર્મગુરુઓ છે. તે ઉપરાંત આઠ-દસ વર્ષના તાલીમ ગાળાના વિવિધ તબક્કે 31 યુવાનો ધર્મગુરુ બનવાનું શિક્ષણ લઈ રહ્યા છે. ધર્મપ્રાંતીય ધર્મગુરુઓ વિવિધ ધર્મસેવાકેન્દ્રો, નાનાં મિશનમથકો અને જુદી-જુદી શૈક્ષણિક સંસ્થાઓમાં સેવા બજાવે છે.
ધર્મપ્રાંતમાં ધર્મગુરુઓના પાંચ સંન્યાસસંઘો છેઃ
આ સંન્યાસસંઘોના તમામ ધાર્મિક ધર્મગુરુઓ અને ધર્મબંધુઓ શિક્ષણ, ધર્મસેવા કેન્દ્રોની પ્રવૃત્તિઓ, સામાજિક સેવાઓ અને વ્યાવસાયિક તાલીમ વગેરે ઘણા બધા પ્રકારની સેવાઓમાં રોકાયેલા છે.
ધર્મપ્રાંતમાં સાધ્વીબહેનોના 26 સાધ્વીસંઘો સક્રિય છે. અમદાવાદમાં સિસ્ટર્સ ઓફ ઘી એપોસ્ટોલિક કાર્મેલ નાં સાધ્વીબહેનો દ્વારા ચલાવાતી માઉન્ટ કાર્મેલ સ્કૂલ કે લિટલ ડોટર્સ ઓફ સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર તરીકે ઓળખાતાં સિસ્ટરો દ્વારા વટવામાં ચલાવાતી સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ જેવી શાળાઓમાં તેઓ સેવા આપી રહ્યાં છે. તે ઉપરાંત ગોમતીપુરમાં સેન્ટ મેરીસ મહિલા શિક્ષણકેન્દ્ર તથા સોશિયલ સર્વિસ સેન્ટનું જપમાળાના પ્રૈષિતિક દોમિનિકન સાધ્વીસંઘ (ઓ.પી.) નાં સાધ્વીબહેનો સંચાન કરે છે. મોટા ભાગનાં સિસ્ટરો નાનાં નગરો અને ગામડાંઓમાં ડિસ્પેન્સરીઓ, બાળાઓ માટે છાત્રાલોયો તથા મહિલા મંડળ જેવી સેવાપ્રવૃત્તિઓ કરે છે.
સ્વાસ્થ્ય સેવાઓઃ સૌને સારુ સ્વાસ્થ્ય
ગરીબો અને જરૂરતમંદોને આરોગ્યની સેવાઓ પૂરી પાડવાના વિશેષ હેતુથી ધર્મપ્રાંત દ્વારા ગામડાંઓ અને નાનાં નગરોમાં અનેક દવાખાનાં ચલાવવામાં આવે છે. ધર્મપ્રાંતનાં સાધ્વીબહેનો દ્વારા નડિયાદ અને અમદાવાદમાં બે હોસ્પિટલો ચલાવાય છે, જેમાં ખાસ કરીને સમાજના પછાત વર્ગના લોકોની સારવાર કરાય છે. આ ઉપરાંત, અમદાવાદના ધર્માધ્યક્ષ, નારોલ લેપ્રસી હાસ્પિટલનું સંચાલન નિષ્કલંક માતા મરિયમના સલેસિયન સંઘનાં સાધ્વીબહેનો દ્વારા કરે છે, નારોલ લેપ્રલી હોસ્પિટલને ગુજરાત અને બહાર પણ એક આદર્શ રક્તપિત્ત હોસ્પિટલ તરીકે નામના મળેલી છે.
મધર ટેરેસાના મિશનરીઝ ઓફ ચેરીટી સંઘ અમદાવાદ શહેરના ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં અદનામાં અદના લોકોની સ્વાસ્થ્ય સેવાઓ માટે હરતાં-ફરતાં બે દવાખાનાં પણ ચલાવે છે.
અમદાવાદ શહેરના મિલવિસ્તાર ગોમતીપુર ખાતે જપમાળાના પ્રૌષિતિક દોમિનિકન સાધ્વીસંઘ દ્વારા ચલાવાતું સેન્ટ મેરીસ નર્સિંગ હોમ શહેરમાં ગરીબો માટેના સૌથી સસ્તા અને સૌથી સલામત ડિલવરી હોમ તરીકે ઓળખાય છે.
અમારાં મોટા ભાગનાં દવાખાનાં ઘણું કરીને જ્યાં ગરીબ અને પછાત લોકો માટે અન્ય કોઈ સ્વાસ્થ્ય સેવાઓ ઉપલબ્ધ ન હોય તેવાં ગામડાંઓમાં ચલાવાય છે. આ દવાખાનાં અને હરતી-ફરતી ડિસ્પેન્સરીઓ ધર્મ કે જ્ઞાતિના વાડાના ભેદભાદ વિના સૌ લોકો સુધી પોતાની સેવાઓ પહોંચાડે છે.
આ ધરતી પર ભગવાન ઈસુ બધાંનું ભલું કરતા ફર્યા છે. એમના પાવન પગલે ચાલીને અમદાવાદ ધર્મપ્રાન્ત નાતજાત, વર્ણ, ધર્મના કોઈ ભેદભાવ વિના સૌ લોકોની, વિશેષ તો ગરીબોને જરૂરતમંદોની સામાજિક સેવા કરે છે.
આ ક્ષેત્રે ધર્મપ્રાન્તના હાંસોલ ખાતેના સામાજિક સેવાકેન્દ્ર, બિહેવિયરલ સાયન્સ સેન્ટર (બી.એસ.સી.) અને સેન્ટ ઝેવિયર્સ સોશ્યલ સર્વિસ સોસાયટી (બન્ને ઈસુસંઘના ફાધરો દ્વારા સંચાલિત) એ ત્રણે સામાજિક સેવાની સંસ્થાઓમાં અમારી સૌથી વધારે જાણીતી સંસ્થાઓ છે. ધર્મસંઘમાં અને ધર્મસંઘની બહાર પણ પોતાની સેવાઓના વિસ્તરણની દષ્ટિએ પણ સૌથી મોટાં કેન્દ્રો આ ત્રણ છે. ધર્મપ્રાંતની ધર્મસેવાકેન્દ્ર અને શૈક્ષણિક સંસ્થાઓ જેવી અમારી અન્ય સંસ્થાઓ પણ નાનામોટા પાયા પર સામાજિક સેવાકાર્યમાં રોકાયેલી છે. આ સંસ્થાઓ આસપાસના લોકોને, વિશેષ તો સ્થાનિક ગરીબ લોકોને સામાજિક સેવાઓ પૂરી પાડે છે.
અમારાં બધાં સમાજ સેવાકેન્દ્રો સમાજિક, આર્થિક, આરોગ્ય વિષયક, વ્યાવસાયિક તથા શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલાં છે, જેમ કે ગરીબ બાળકો માટે બાલવાડીઓ ચલાવવી, કેટલીક મ્યુનિસિપલ શાળાઓનાં બાળકો માટે પૂરક વર્ગો ચલાવવા, અભ્યાસમાં નબળી વિદ્યાર્થીઓ માટે ટયૂશન વર્ગો ચલાવવા વગેરે. અમુક સમાજ સેવા કેન્દ્રો ગરીબ લોકોને ઘર બાંધવામાં મદદ કરે છે, ખેડૂતોને બિયારણમાં અને કૂવા ખોદવામાં મદદ કરે છે અને યુવા ભાઈ-બહેનોને કોમ્પ્યુટર તાલીમ, દરજીકામ અને ભરતકામ વગેરેના વ્યાવસાયિક અભ્યાસક્રમની સગવડ કરી આપે છે.
પૂર, દુષ્કાળ અને 26મી જાન્યુઆરી 2001ના વિનાશક ધતીકંપ જેવી કુદરતી આફતો દરમિયાન અમારાં સમાજસેવા કેન્દ્રો રાહત અને પુનઃવસનની સેવાઓમાં મોખરે રહ્યાં છે, અમારી કેટલીક સંસ્થાઓ પાણીની લણણી અને ચેકડેમ બાંધવામાં પણ ઘણું ઉદાત્ત કાર્ય કરે છે.
સામયિકો, પ્રિન્ટિંગ પ્રેસ અને પ્રકાશન સંસ્થા
દૂત ઈસુસંઘીઓ દ્વારા સંચાલિત, ગુજરાતી ખ્રિસ્તીઓ માટેનું સર્વાંગી પારિવારિક માસિક છે.
અમારી કેટલીક ભાવિ યોજનાઓ
અમદાવાદમાં ધર્મપ્રાંતમાં અને ગુજરાત રાજ્યમાં ખ્રિસ્તીના પ્રેમરાજ્યની ઘોષણા કરવા અમે પ્રતિબદ્ધ છીએ. અંગ્રેજી માધ્યમની શાળાઓ, પી.ટી.સી. અને બી.એડ્. કોલેજ શરૂ કરવાની તાતી જરૂરિયાત છે. આરોગ્ય સેવાઓના ક્ષેત્રે અમારી સેવાઓને વધારવા માટે અમે નર્સિંગ શાળા શરૂ કરવાનો વિચાર કરી રહ્યા છીએ. સમાજના ગરીબોની દરેક શક્ય માર્ગે મદદ કરવા માટે અમારી પાસે આવી બધી યોજના છે.
અમારાં આ સ્વપ્નોને સાકાર કરવામાં અમને આર્થિક અને અન્ય રીતે મદદ કરનાર સૌ શુભેચ્છક ભાઈ-બહેનોના અમે આભારી છીએ.
કુલ વસ્તી
કોલેજ
હોસ્પિટલ
પ્રકાશનો